ગુજરાતી

“નશા-મુક્ત ભારત” અભિયાન એ સ્વસ્થ રાષ્ટ્રના ભવિષ્યની સાચી દિશા: ડૉ. જે.એમ. વ્યાસ

NFSUમાં “નશા-મુક્ત ભારત”નું લક્ષ્ય હાંસલ કરવા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો

“ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ” ની ઉજવણી અંતર્ગત “યૂથ ફોર ચેન્જ, સાયન્સ ફોર જસ્ટિસ” થીમ હેઠળ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગર ખાતે ગુરુવારે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અધ્યક્ષતા ‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે કરી હતી. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોમાં શ્રી સુનિલ જોશી, IPS, DIG, ATS-અમદાવાદ; શ્રી મનીષ કુમાર, IRS, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB); પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર અને પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં કાયદા અમલીકરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય સંગઠનોના નિષ્ણાતોએ યુવાનોમાં ડ્રગના દુરુપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “નશા-મુક્ત ભારત” અભિયાનના દૂરંદેશી દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. વ્યાસે જણાવ્યું હતું કે “નશા-મુક્ત ભારત” અભિયાન એ સ્વસ્થ રાષ્ટ્રના ભવિષ્યની સાચી દિશા છે. વિજ્ઞાન, શિક્ષણ અને સામૂહિક સંપર્કને આ અભિયાનની કરોડરજ્જુ ગણાવતા ભારતને નશા-મુક્ત બનાવવા માટેના પ્રયાસમાં NFSUની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે નિર્ણાયક લડાઈની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે આ સંઘર્ષ ફક્ત સંસ્થાકીય નથી, પરંતુ સામૂહિક છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને સમાજની સક્રિય ભાગીદારીની જરૂર છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી મનીષ કુમાર (IRS) એ ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક્સ દ્વારા ઊભા થયેલા નવા પડકારો પર પ્રકાશ પાડ્યો અને ડ્રગ સમસ્યાનો સામનો કરવા માટે સંકલિત અમલીકરણ, અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

સ્કૂલ ઓફ ફોરેન્સિક સાયન્સ ડીન અને CoE-NDPS-NFSUના વડા, ડૉ. આસ્થા પાંડેએ ડ્રગ વિરોધી શપથ લેવડાવી હતી. આ શપથ 500 વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ લીધી હતી. આ કાર્યક્રમમાં NCB ઝોનલ ડિરેક્ટર શ્રી કેતન બલિરામ, ડૉ. યાત્રી પટેલ, ડૉ. ટ્વિંકલ પટેલ ઉપરાંત, આરોગ્ય, ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદા અમલીકરણના નિષ્ણાતો પણ ચર્ચામાં જોડાયા હતા. NCB અને ‘ઇન્વિન્સીબલ’ દ્વારા જનજાગૃતિ સંદર્ભે ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે NFSU-ભોપાલના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) સતીશ કુમાર ઉપરાંત, વિવિધ શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમની આભારવિધિ ડૉ. પી. અજય સોની, નાયબ નિયામક, CoE-NDPS દ્વારા કરવામાં આવી હતી.

Related posts

જંગલમાં મંગલનું પ્રતીક : મહુઆ – મદકતા, મધુરતા અને મનીનો ખજાનો

w3hosters@gmail.com

શિક્ષકો માટે નાણાકીય સશક્તિકરણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

w3hosters@gmail.com

વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે એનએસઆઈટીમાં વૃક્ષારોપણ, વૃક્ષોના સંરક્ષણનો સંકલ્પ

w3hosters@gmail.com

Leave a Comment