ગુજરાતી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે SAL મેડિકલ કોલેજમાં “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ તથા SAL હોસ્પિટલ દ્વારા શનિવારે આ વર્ષની વૈશ્વિક થીમ “યોગ ફોર હેલ્ધી એજિંગ” (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) આધારિત યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ડૉ. નિતિન શાહ, સીઈઓ તથા ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા, ડીન, SAL ઇન્સ્ટિટ્યૂટ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ, ફેકલ્ટી સભ્યો, તબીબો તેમજ આરોગ્યકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિશેષ યોગ પ્રશિક્ષક સુશ્રી પ્રેરણા ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા યોગ સત્રમાં નિયમિત યોગાભ્યાસના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન, શરીરની લવચીકતા તેમજ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે અત્યંત લાભદાયી છે. ઉપસ્થિતોએ યોગાભ્યાસમાં સક્રિય ભાગ લીધો અને દૈનિક જીવનમાં યોગને અપનાવવાના મહત્વ અંગે ચર્ચા કરી.

કાર્યક્રમને સંબોધતા ડૉ. નિતિન શાહ, સીઈઓ, SAL ઇન્સ્ટિટ્યૂટ એ જણાવ્યું હતું કે નિયમિત આરોગ્ય સંભાળ અને સ્વસ્થ જીવનશૈલી એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે યોગ એક સરળ પરંતુ અસરકારક માધ્યમ છે, જે વ્યક્તિને સમગ્ર જીવન દરમિયાન શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે અને જીવનશૈલી સંબંધિત રોગોના ભારને ઘટાડે છે.

ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા, ડીન, SAL ઇન્સ્ટિટ્યૂટ એ વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓને સમાજમાં આરોગ્ય જાગૃતિના દૂત બનવા માટે પ્રેરિત કર્યા. તેમણે ભાવિ તબીબોને યોગ અને સ્વસ્થ વૃદ્ધાવસ્થાના લાભો જનજન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું.

આ કાર્યક્રમનું આયોજન IPCA લેબોરેટરીઝ લિમિટેડ ના સહયોગથી કરવામાં આવ્યું હતું. જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે નિયમિત યોગાભ્યાસને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિતોને 100 યોગા મેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સોલા ભગવત વૃદ્ધાશ્રમ ખાતે આયોજિત આરોગ્ય શિબિરમાં સક્રિય ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. “યોગ ફોર હેલ્ધી એજિંગ” ના વૈશ્વિક સંદેશને આગળ વધારવામાં તેમના યોગદાન બદલ તેમને પ્રશંસાપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સફળ સંકલન ડૉ. પરિજાત ગોસ્વામી, વડા, માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં સક્રિય યોગદાન આપ્યું તેમજ અસરકારક મંચ સંચાલન દ્વારા ઉપસ્થિતો, વક્તાઓ અને આયોજકો વચ્ચે સુમેળ સ્થાપિત કર્યો.

કાર્યક્રમનો સમાપન યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાના તથા સમાજમાં તેના લાભો અંગે જાગૃતિ ફેલાવવાના સામૂહિક સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો. આ અવસરે SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ તથા IPCA લેબોરેટરીઝ લિમિટેડ એ સ્વસ્થ અને જાગૃત સમાજના નિર્માણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પુનઃ વ્યક્ત કરી હતી.

Related posts

હેઝલ બ્રહ્મભટ્ટ આઈટી એન્જિનિયર બનવા માગે છે

w3hosters@gmail.com

યોગનો જજ્બો જાગ્યો અને મારું જીવન બદલાઈ ગયું

w3hosters@gmail.com

એન્વાયરન્મેન્ટલ ટોક્સિકોલોજી અને પ્રદૂષણ મોનિટરિંગ પર ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ

w3hosters@gmail.com

Leave a Comment