
‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સિદ્ધ કરવા યુવા-શક્તિ નાર્કો-સાયબર આતંકવાદથી સાવધ રહે: ડૉ. જે.એમ. વ્યાસ
ગાંધીનગર,
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ 80મા સ્વતંત્રતા દિવસની તા.15મી ઓગસ્ટ, 2026ના રોજ ગૌરવપૂર્ણ ઉજવણી કરી હતી. સ્વતંત્રતા દિવસના અવસરે NFSUના સ્થાપક કુલપતિ, “પદ્મશ્રી”થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા ગાંધીનગર કેમ્પસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર અને શ્રી સી.ડી. જાડેજા, NFSU-એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર પણ મંચ પર બિરાજમાન હતા.

NFSUના NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ દેશભક્તિ અને શિસ્ત સાથે પ્રભાવશાળી માર્ચપાસ્ટમાં ભાગ લીધો હતો. NFSUના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પણ દેશભક્તિ ગીતો અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.
સ્વતંત્રતા દિવસના આ શુભ પ્રસંગે, NFSUના સ્થાપક કુલપતિ, “પદ્મશ્રી”થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 2047 સુધીમાં “વિકસિત ભારત” અને “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને પૂર્ણ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું હતું કે ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થયા, જે ભારતની એકતા અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે.
ડૉ. જે.એમ. વ્યાસે યુવાનોને શારીરિક અને માનસિક બંને રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરીને રાષ્ટ્ર નિર્માણમાં તેઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ‘નાર્કો-ટેરર’, ‘સાયબર-ટેરર’ અને ‘ફેક-કરન્સી ટેરર’ જેવા જોખમો સામે ચેતવણી આપીને કહ્યું હતું કે આ ત્રણેય પ્રકારના આતંકવાદ રાષ્ટ્રના ભવિષ્યને જોખમમાં મૂકે છે. આ ત્રણેય સામે મજબૂતીથી લડવા માટે જ્ઞાન અને કુશળતા દ્વારા ‘યુવા-શક્તિ’ એ આગળ વધવાની જરૂર છે. તેમણે NFSU અતૂટ દેશભક્તિ અને ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રની સેવા કરવા માટે કટિબદ્ધ હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ પ્રસંગે વિવિધ સ્કૂલ્સના ડીન્સ, એસોસિએટ ડીન્સ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
