
અમદાવાદ, સ્વાતંત્ર્ય દિવસના અવસરે સાલ એજ્યુકેશન કેમ્પસ તથા સાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા સંયુક્ત રીતે ભવ્ય તિરંગા યાત્રા તથા રાષ્ટ્રીય ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 225 વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, ઇન્ટર્ન ડૉક્ટરો તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તમામ સહભાગીઓએ ગર્વ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ તથા ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન કર્યું હતું.
આ પ્રસંગે સાલના CEO ડૉ. નિતિન શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સાચી દેશભક્તિ માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ દરરોજ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારીઓ ઈમાનદારીપૂર્વક નિભાવવાનો સંકલ્પ છે. તેમણે જણાવ્યું હતું કે તબીબી અને શિક્ષણ ક્ષેત્રે દર્દીઓની સેવા, વ્યાવસાયિક ઈમાનદારી તથા શિક્ષણમાં શ્રેષ્ઠતા દ્વારા રાષ્ટ્રની સેવા કરી શકાય છે.
ડીન ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને તિરંગામાં રહેલા એકતા, સન્માન અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે યુવા તબીબી વિદ્યાર્થીઓને સમાજના વંચિત વર્ગો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમના અંતે પરિસરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. દેશભક્તિના નારા અને તિરંગા સાથે નીકળેલી આ યાત્રાએ તમામ સહભાગીઓમાં રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ, જવાબદારી અને સમાજસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
